સુરત લોકસભા બેઠકમાં ચુંટણી પૂર્વે જ પરિણામની જાહેરાત થઈ ચુકી છે. કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ટેકેદારોની શંકાસ્પદ ભુમિકા બાદ અન્ય ઉમેદવારો દ્વારા પણ છેકછેલ્લી ઘડીએ દાવેદારી પરત ખેંચી લેતાં ભાજપના મુકેશ દલાલનો નિર્વિરોધ વિજય નિવડ્યો છે. આ ઘટનાને પગલે સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. આજે સવારે કોંગ્રેસી કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, નિલેશ કુંભાણી સહિત તેમના પરિવારજનો હાલ ભુગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ કોંગ્રેસી કાર્યકરો દ્વારા તેમના ઘરની બહાર જ પોસ્ટરો ચિપકાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
નિલેશ કુંભાણીને કહેવાયો જનતાનો ગદ્દાર
છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર દેશમાં સુરત લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભારી અને તેના ટેકેદારો દ્વારા રચવામાં આવેલા કારસાને કારણે કોંગ્રેસ પાર્ટીની હાલત દયનીય બની છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ગઠબંધન વચ્ચે નિલેશ કુંભાણી પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જો કે, શરૂઆતથી જ નિલેશ કુંભાણીની નિષ્ક્રિયતા અંગે ખુદ કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નિલેશ કુંભાણીના અંગત મિત્રો અને સંબંધી એવા ટેકેદારો પણ છેક છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જતાં ભારે વિવાદ સર્જાયો છે. કાયદાકીય આંટીઘુંટીને પગલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થઈ ગયા બાદ અન્ય પ્રાદેશિક્ષક પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પણ નાટકીય ઢબે પોતાની દાવેદારી પરત ખેંચી લેતાં ભાજપના મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ વિજેતા જાહેર થઈ જતાં ભાજપમાં ઉત્સાહનો માહોલ જ્યારે કોંગ્રેસમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. આજે સવારે કોંગ્રેસી કાર્યકરોએ સરથાણા ખાતે નિલેશ કુંભાણીના ઘરની બહાર સૂત્રોચ્ચાર સાથે જનતાનો ગદ્દાર… દેશનો ગદ્દાર… જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અલબત્ત, કોંગ્રેસી કાર્યકરોના વિરોધની આશંકાને પગલે નિલેશ કુંભાણીના ઘરે ખંભાતી તાળું લટકતું હતું અને તેમનો પરિવાર હાલ ભુગર્ભમાં ઉતરી ચુક્યો છે.
વધુ વાંચી શકો છો :
ગુજરાતમાં લોકસભા ચુંટણી માટે નાં ભાજપનાં સ્ટાર પ્રચારકો માં હાર્દિક પટેલની બાદબાકી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.