ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ પાનું ફેરવાયું છે. એક એવી વેળા, જ્યાં સાદગી, કાર્યપટુતા અને સમાજસેવાનું દૃઢ સંકલ્પ ધરાવતા નેતાનું નામ આખા રાજ્યમાં ગૂંજી રહ્યું છે – જગદીશ વિશ્વકર્મા.
તેમનો ઉદય એક સામાન્ય કાર્યકરથી રાજ્યના પ્રમુખ પદ સુધીની યાત્રા છે. આ યાત્રા માત્ર રાજકીય નૌકાવિહાર નથી, પણ સમાજના ધબકારા સાથે જમતી એક જનયાત્રા છે.
પ્રારંભિક યાત્રા – સામાન્ય કાર્યકરથી સંગઠનના શિખર સુધી

જગદીશજીનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદમાં થયો હતો. વ્યવસાયે તેઓ ટેક્સટાઇલ મશીનરી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. શૈક્ષણિક પૃષ્ઠભૂમિમાં તેઓએ B.A. અને Marketingમાં M.B.A. કર્યું છે.
1998માં ભાજપમાં બૂથ ઇન્ચાર્જ તરીકે પ્રવેશ કરનાર આ યુવાને વર્ષો સુધી સંગઠનને પાયાથી ઓળખ્યું, શીખ્યું અને જીવ્યું.
2015થી 2021 સુધી તેઓ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ રહ્યા અને સકુશળ પોતાની કામગીરી બજાવી. તેમજ 2021ની કોર્પોરેશન ચૂંટણીમાં પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો.
રાજકારણમાં મજબૂત પાયાઓ
તેમને સતત ત્રીજી વખત નિકોલ વિધાનસભામાંથી જીત મળેલી છે – જે તેમના સંગઠન પ્રત્યેના વિશ્વાસ અને લોકચાહનનું પુરવાર કરે છે. તેઓ હાલ રાજ્ય સરકારમાં રાજયમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે મહત્વના વિભાગો – કુટીર ઉદ્યોગ, સહકાર, MSME, વન અને પર્યાવરણ વગેરે – ની જવાબદારી સંભાળી રહ્યા છે.
સામાન્ય જીવનશૈલી અને હંમેશાં લોકો વચ્ચે રહેવાનું સ્વભાવ તેમને ખાસ બનાવે છે. તેઓ માત્ર મંત્રી નથી, એક કાર્યકર તરીકે પોતાનું વલણ જાળવી રાખ્યું છે.
અમદાવાદનો દબદબો
આપણા રાજકીય ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ બંને અમદાવાદમાંથી છે – એક પશ્ચિમના ઘાટલોડિયા અને બીજાં પૂર્વના નિકોલમાંથી.
આ ઘટના માત્ર ભૂગોળના દૃષ્ટિકોણે ખાસ નથી, પણ પાર્ટી સંગઠનમાં અમદાવાદના દબદબાનો નવો પડાવ છે. એવું લાગે છે કે હવે વિકાસના માર્ગ સાથે સંગઠનની દિશા પણ અમદાવાદ તરફ દોરી રહી છે.
અહિયાંના નેતાઓનું દ્રઢ નેતૃત્વ, સંગઠન સાથેની જોડાણ ક્ષમતા અને નિષ્ઠાવાન કાર્યશૈલી ગુજરાતના રાજકારણમાં એક નવી દિશા આપે છે. અમદાવાદ હવે રાજકીય અને સંગઠનાત્મક નિર્ણયોનું કેન્દ્ર બની રહ્યો છે, જે આગામી સમયમાં statewide વિકાસના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

OBC નેતૃત્વ અને રાજકીય સમીકરણ
જગદીશ વિશ્વકર્માની પસંદગી એ પણ દર્શાવે છે કે ભાજપ હવે વધુ સમાજોને રજુઆત આપી રહ્યું છે. મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી છે, અને અધ્યક્ષ OBC સમુદાયમાંથી છે – જે રાજકીય સંતુલન બતાવે છે.
ભાજપે OBC વર્ગના નેતૃત્વને પ્રોત્સાહન આપીને સમાજના વિશાળ વર્ગને સંબોધન કર્યું છે – ખાસ કરીને આવનારી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ તરફથી આનિર્ણયો સમાજના હિતમાં લેવાય રહ્યા છે.
નિષ્કર્ષ
જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ એ માત્ર એક પદ નથી – એ છે સંકેત, કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નવા યુગ માટે તૈયાર છે. એમાં પદ કરતાં પ્રતિબદ્ધતાને મહત્ત્વ છે. સામાન્ય કાર્યકરથી શિખર સુધીની યાત્રા એ દરેક કાર્યકર માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે.
STORY BY: RUSHIKESH VARMA
