ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંનું જીવન સંગીતની એક દિવ્ય ગંગા હતું, જે ભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિકતાના તટ પર અવિરત વહેતું રહ્યું. તેમની શરણાઈના સ્વર આજે પણ કાશીના ઘંટનાદ સમા ગુંજતા રહે છે. તેઓ ગયા, પરંતુ તેમનું સંગીત અનાદિકાળ સુધી અમર અખંડ દીપશિખા બની ઝળહળતું રહેશે.
ભારતીય સંગીતના આકાશમાં અનેક તારલાઓ ઝગમગતા રહ્યાં છે, પરંતુ તેમાં એક એવો ચમકતો તારો હતો કે જેના પ્રકાશે સમગ્ર જગતને શરણાઈના સૂરો સાથે સંગીતના સત્ય અને સૌંદર્યનો પરિચય કરાવ્યો. એ તારો હતો – ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં.

જન્મ ૨૧ માર્ચ ૧૯૧૬ના રોજ બિહારના ડુમરાવમાં થયો. બાળપણથી જ સંગીત તેમની નસોમાં વહેતું હતું. છ વર્ષની નાની વયે તેઓ પોતાના પિતા સાથે કાશી (વારાણસી/બનારસ) આવ્યા અને ત્યાંથી શરૂ થયો એક એવો સંગીતસફર, જે પેઢીઓ સુધી યાદગાર રહી ગયો.
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંએ શરણાઈને માત્ર એક મંગલપ્રસંગી વાદ્યમાંથી ઉઠાવીને શાસ્ત્રીય સંગીતની ઊંચી ગાદી પર બેસાડ્યું.
જેમ સવારના સૂર્યોદયે ધરતીને સુવર્ણ ઝળહળથી રંગીન બનાવી દે છે, તેમ તેમની શરણાઈના સ્વરે માનવહૃદયને આનંદ અને ભક્તિથી ઓતપ્રોત કરી દીધું.

તેમના સંબંધી અલી બખ્શ, જે બાબા વિશ્વનાથના મંદિરના સ્થાયી શરણાઈ વાદક હતા, તેમની પાસે તેમણે શરણાઈ શીખી. કાશીમાં તેઓ રોજે રોજ બાબા વિશ્વનાથના દરબારમાં શરણાઈ વગાડતા. ગંગાના કિનારે કલાકો સુધી અભ્યાસ કરતા. શરણાઈ તેમના માટે માત્ર સંગીત ન હતી, પરંતુ માતા સરસ્વતીની પ્રાર્થના, ઈશ્વર સાથેનો સંવાદ અને રાષ્ટ્ર માટેની અર્પણભાવના હતી.
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં તેમનું સ્થાન અમર છે. વર્ષ ૧૯૪૭માં જ્યારે ભારત સ્વતંત્ર બન્યું ત્યારે લાલકિલ્લા પરથી ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંએ શરણાઈ વડે દેશના નવા પ્રભાતની ઘોષણા કરી. તે પળે તેમની શરણાઈ માત્ર સંગીત ન રહી, પરંતુ આઝાદીના કંપનારા મૃદંગ, સ્વતંત્રતાના ઘોષણાવાદ્ય બની ગઈ.
વર્ષ ૧૯૫૦ના પ્રથમ ગણતંત્ર દિવસ પર પણ તેમણે પોતાના સ્વરોથી રાષ્ટ્રને નમન કર્યું.

તેમની સાદગી એટલી કે, વૈભવ તેમને ક્યારેય લલચાવી શક્યું નહીં. સંગીત જ તેમનો એકમાત્ર શણગાર, એકમાત્ર ધર્મ અને એકમાત્ર સંપત્તિ હતું.
તેમને મળેલા સન્માનો – પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને સર્વોચ્ચ ભારત રત્ન – માત્ર કાગળ પરના પુરસ્કારો નહોતા, પરંતુ તેમના જીવનની સાધનાના ફૂલહાર હતા.
૨૧ ઓગસ્ટ ૨૦૦૬ના રોજ જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે માત્ર સંગીત જ નહીં, સમગ્ર રાષ્ટ્રે એક દિવ્ય જ્યોત ગુમાવી. તેમની અંતિમવિધિ દરમિયાન તેમના પ્રિય સાથી – શરણાઈ – પણ તેમની સાથે દફનાવવામાં આવી. જાણે કે,
“સંગીત અને સાધક, બે ધ્રુવતારા, એક જ આકાશમાં સમાવી ગયા.”
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંનું જીવન આપણને શીખવે છે કે સંગીત માત્ર મનરંજન નથી, તે તો આત્માનું આહાર છે, રાષ્ટ્રપ્રેમનું સંગીત છે અને ભક્તિનો મંગલસૂર છે. તેમની શરણાઈ આજે પણ કાશીના ગલીઓમાં, ગંગાના કિનારાઓ પર અને ભારતના હૃદયમાં ગુંજતી રહે છે.
જય હિન્દ
વંદે માતરમ્
જય જય ભારત
STORY BY: NIRAJ DESAI
Silver Price Today 18 May 2026: सोमवार (18 मई, 2026) को भी सोने की कीमतों…
Funny Joke of the Day: योग गुरु और हेल्थ एक्सपर्ट्स अक्सर लोगों को ज्यादा से…
Gold Price Today 18 May 2026: सप्ताह के पहले दिन सोमवार (Gold Price Today 18…
गर्मी के मौसम में लौकी काफी फायदेमंद होती है, जो लोग अपना वजन कम करना…
Mushfiqur Rahim Century: पाकिस्तान के खिलाफ दूसरे टेस्ट मैच में बांग्लादेश के दिग्गज बल्लेबाज मुशफिकुर…
CM Yogi on Namaz: सीएम योगी आदित्यनाथ ने लखनऊ में आयोजित एक कार्यक्रम में सार्वजनिक…