“Happy Diwali”
દિવાળી પર્વ નિમિતે ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લાજપોર મધ્યસ્થ જેલના બંદિવાનો અને સ્ટાફની મુલાકાત લઇ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ ગૃહરાજ્યમંત્રીએ જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારોના જોહરાત પણ કરી જેલ પરિવારોના ઘરે આનંદનો દીપ પ્રજ્વલિત કરતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના ઘરે આનંદનો દિપ પ્રજ્વલ્લિત થાય એના માટે જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે વર્ગ-૩ના કર્મચારીઓ માટે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ ભથ્થા અનુસાર તેજ ધોરણે તે જ તારીખ થી આ લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં રાજ્ય સરકારે જે વધારો કર્યો છે તેમાં જેલ સહાયકને અગાઉ અપાતું નહોતું તે હવે રૂ.૩૫૦૦, સિપાઈ વર્ગને અગાઉ રૂપિયા ૬૦ અપાતું હતું તેના બદલે હવે રૂ.૪૦૦૦, હવાલદાર વર્ગને અગાઉ રૂપિયા ૬૦ અપાતું હતું તેના બદલે હવે રૂ.૪૫૦૦, સુબેદાર વર્ગને અગાઉ રૂપિયા ૬૦ અપાતું હતું તેના બદલે હવે રૂ.૫૦૦૦ સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું અપાશે.આ ઉપરાંત ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦ લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫ રજા પગાર ચુકવવામાં આવશે. તેમજ જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫ માં વધારો કરીને રૂ.૫૦૦ ચુકવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું
દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતાં ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, તહેવારમાં બંદિવાનો,જેલ સહાયક, સિપાહી, જેલ હવાલદાર, જેલ સુબેદાર, અધિકારીઓના ઘરોમાં ખુશીનો ઉજાસ વધે તે માટે રાજ્ય સરકાર અનેક નિર્ણયો લઇ રહી છે. બંદિવાનોના હિતમાં પણ એક મહત્વનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં બંદિવાનોના યોગ્ય ભોજનની કાળજી લેવામાં આવી છે. ગુજરાતની દરેક જેલમાં બંદિવાનોને પૌષ્ટિક અને સ્વચ્છ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે. બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ છે. બંદિવાનોને અનુરોધ કરતાં તેમણે કહ્યું હતુ કે, આવેશમાં આવી ભુલથી કોઇ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઇ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિષ કરજો. જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે એના માટે સરકાર કટિબદ્ધ છે. એકબીજાના હિતમાં કામ કરી દિવાળીની ઉજવણી કરવાની શીખ આપતા મંત્રીએ બંદિવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પોલિસ કમિશ્નર અજયકુમાર તોમર, રેન્જ આઈ.જી. ચંદ્રશેખર, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, એડિશનલ પોલીસ કમિશનર કે.એન.ડામોર, DySP પી.જી.નરવડે, સિનીયર જેલર આર.એન. રાઠવા, મેડિકલ ઓફિસર જેનિશ રંગપરિયા, આસિસ્ટન્ટ એન્જીનિયર અશોક પટેલ, લાજપોર જેલના અધિકારીઓ સહિત સિપાઈઓ, હવાલદારો, સુબેદારો અને બંદિવાનો હાજર રહ્યાં હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.